રાધા

By રાજીવ ગોહેલ

રાધે શ્યામ… રાધે શ્યામ… રાધે શ્યામ…
અને જો આમાથી રાધાને બાદ કરો તો વધશે ફકત…
આધે શ્યામ… આધે શ્યામ… આધે શ્યામ…

કવિ શ્રી મુકેશ જોશીએ રાધાને કેન્દ્રમાં રાખીને લખેલી થોડી પંકિત કે જે મને અતિ પ્રિય છે તે તેમનાજ શબ્દોમાં (જો મારી ભુલ થતી ન હોય તો) અહી રજુ કરી છે, અને તે પછી એજ વિષય પર મારી પોતાની સછંદ રચના આપ સૌના માટે આપી રહ્યો છું.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

- મુકેશ જોશી

આભારઃ ઉર્મિસાગર

****************************************

મિત્રો, હવે એજ વિષય પર મારી લખેલી રચના વાંચો… આશા રાખુ કે આપને ગમશે… આ રચનામાં મે “ગાલગાગા” ના ત્રણ આવર્તનો વાપર્યા છે… મને એકદમ પાકી ખબર નથી કે આવો કોઈ છંદ છે કે નહી? જાણકાર મિત્રો આ બાબતે વધુ પ્રકાશ પાડશે તેવી આશા…!

શ્યામ તારી વાંસળીનો સૂર રાધા
તોય તારાથી રહી છે દૂર રાધા

ધીમી ધારે જો વહે છે પ્રેમ તારો
ને ધસમસતુ લાગણીનુ પૂર રાધા

શ્વેત રંગને શ્યામ માટે છોડી દઈને
શ્યામ તારા રંગમાં ચકચૂર રાધા

મોહી ગઈ છે વાંસળીના સુરમા ને
કાલિંદી કાંઠે જવા આતુર રાધા

માધવે ઉચ્ચારી ફુરુક્ષેત્રમાં જે
તે ગીતાના જ્ઞાનનુ અંકુર રાધા

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા

રાજીવ ગોહેલ

11 Responses to “રાધા”

  1. ઊર્મિ Says:

    મુકેશભાઈની આખી રાધા-ગઝલ અહીં વાંચો…
    http://urmisaagar.com/saagar/?p=416

    ગાલગાગા નાં ત્રણ આવર્તનો વાળા છંદનું નામ “રમલ” છંદ છે…!

    છંદમાં ગઝલ લખવાનો આ પ્રયાસ ઘણો પ્રશંસનીય છે રાજીવ…!
    એ માટે તમને ખાસ અભિનંદન…!

    બારીકાઈથી છંદ જોયા બાદ મારો મત અને મને ધ્યાનમાં આવેલાં છંદ-દોષ અહીં મૂકુ છું… આશા છે કે તમને અણગમતું નહીં લાગે!

    -બીજા શેરનાં સાની (બીજા) મિસરામાં છંદ (પ્રથમ આવર્તનમાં) તૂટે છે… ને ધસમસતું ગાગાગાગા થઈ જાય છે.
    -ત્રીજા શેરનાં ઉલા (પહેલા) મિસરામાં છંદ (પ્રથમ આવર્તનમાં) તૂટે છે… શ્વેત રંગને ગાલગાલગા થઈ જાય છે.
    -ચોથા શેરનાં સાની મિસરામાં… કાલિન્દી ને ગાલગા તરીકે નહીં લઈ શકાય… લિન્ નો ઉચ્ચાર એકાક્ષરીની જેમ થતો હોવાથી અહીં ગાગાગા થઈ જાય છે…!
    -પાંચમા શેરમાં પણ ‘ગીતાના’ માં ગાગાગા થઈ જાય છે…!

    અને શબ્દોની વચ્ચે આવતા ગા ને લ તરીકે ક્યારે લઈ શકાય એ છૂટ વિશે તો હજી હું પણ શીખું જ છું…!

  2. nilam doshi Says:

    છંદની તો જાણ નથી પરંતુ ભાવ ગમ્યો.

    રાધા વિશે કયા કવિએ કાવ્ય નહીં લખ્યું હોય ?

    હું તો કવિ નથી છતાં રાધા વિશે થોડું લખાઇ જ ગયું છે.

  3. Rajiv Says:

    Urmiji,

    All the points are well taken…!

    Thanks

    Rajiv

  4. હેમંત પુણેકર Says:

    રાજીવ,

    કાવ્યતત્વ સારું છે. છંદમાં જે ત્રુટિ છે એ તરફ ઊર્મિએ ધ્યાન દોર્યું જ છે. આ ઉપરાંત જોડણી પ્રત્યે થોડું ધ્યાન આપજે. (જો તો ઉંઝા સમર્થક ન હોય તો) સૂર, દૂર, પૂર, ચકચૂર એમ આવશે.

    અભિનંદન

  5. Rajiv Says:

    પ્રિય હેમંત,

    ના હું ઉંઝા જોડણીનો સમર્થક નથી… એટલે એવુ નથી કે હું વિરોધી છું… પણ ક્યારેય બહુ વિચાર્યુ નથી એ બાબતે… દીર્ઘની જગ્યાએ બધે હ્રસ્વ મુકાય ગયેલ છે…ધ્યાન દોરવા બદલ આભાર…! સુધારી રહ્યો છું…!

    રાજીવ

  6. હેમંત પુણેકર Says:

    ઉંઝાના નામે એટલી મારકાટ થઈ છે કે એનું નામ લેતાંય બીક લાગે છે. :-)
    બાય ધ વે, સાર્થ જોડણી પ્રમાણે આતુર અને અંકુર બરાબર જ હતાં. છંદની સાચવવા એમના ઉચ્ચાર ભલે આતૂર કે અંકૂર કરીએ, લખતી વખતે મૂળ જોડણી જાળવવાની રીત છે.

  7. RameshPatel Says:

    કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
    સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

    - મુકેશ જોશી

    ધીમી ધારે જો વહે છે પ્રેમ તારો
    ને ધસમસતુ લાગણીનુ પૂર રાધા

    Rajiv gohel
    very nice thought with poetic way.
    Ramesh Patel(Aakashdeep)

  8. Kajal Shah Says:

    શ્યામ તારી વાંસળીનો સૂર રાધા
    તોય તારાથી રહી છે દૂર રાધા

    khub j sundar vaat…………..

  9. Viral Shah Says:

    banne sundar rachana o chhe…

    abhinandan

  10. વિવેક ટેલર Says:

    સુંદર રચના… અભિનંદન…

    છંદની વાત થઈ જ ચૂકી છે. ત્રીજા શેરની બીજી પંક્તિમાં ‘તારા જ ‘માં જ છંદની દૃષ્ટિએ વધારાનો છે…

  11. pragnaju Says:

    બાવવાહી સરસ રચના બદલ ધન્યવાદ્

Leave a Reply