રંગહીન

By રાજીવ ગોહેલ

રંગ સઘળાં, જીવન તણા ઉડતા જાય છે
જુઓ મને મેઘધનુ રંગહિન જણાય છે

પથરા અને ઝાંખડાના એ ઢગ જ હોય છે
કે પર્વતો ક્યાં હવે નયનરમ્ય દેખાય છે

દિવાલ ઘરની રડતી મુકી,તમે છો ગયા
આ મુજ મકાનને, શું ઘર કહેવાય છે

ક્યાં આપણે આવીયા, કઈ રાહ ચાલ્યા હતા
માર્ગ મંઝિલો બધી, હાથથી સરી જાય છે

શમણાંનુ હરણુ જીવનથી ખુબ થાકી ગયું
એને બંધ નયનથી પણ મૃગજળ દેખાય છે

આવે નહી શબ્દ સાગરમાં ગઝલની ભરતી
મારો સમુદ્ર ગઝલનો ઓસરી જાય છે

છંદ વિધાન = ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

- રાજીવ

17 Responses to “રંગહીન”

  1. રાજીવ Says:

    વહાલા મિત્રો,

    જીવનમાં પ્રથમવાર છંદ-બધ્ધ રચના લખવાનો પ્રયાસ કરી રહ્યો છું… અને સૌ પ્રથમ પ્રિય જુગલકાકાનો આભાર માની વાત આગળ વધારીશ કેમકે તેમના બ્લોગ પરથી છંદ અને ગુજરાતી ભાષાનુ અન્ય શિક્ષણ લઈને પછીજ છંદ પર હાથ અજમાવી શક્યો છું… તેમની સાથે થયેલા પત્ર વ્યવહાર (ઈ-મેઈલ દ્વારા, કે જે હજી ચાલુ જ છે) દ્વારા ઘણી બધી માહીતી અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે…!

    આ મારો પ્રથમ પ્રયાશ હોય તેમા થોડી ક્ષમ્ય છુટછાટ લીધી છે… અને કદાચ ઘણી ભુલો પણ હોય તેવુ બને… પણ ભુલોથી હું ગભરાતો નથી, કેમકે ગુજરાતી બ્લોગ જગતમાં ઘણા એવા નામો છે કે જેઓ મને આ બાબતે પુછ્યા વિના મદદ કરવા તત્પર હશેજ એવી મને આશા છે.

    તો તે દરેક મિત્ર કે જેઓ છંદ વિશે જાણે છે, તેઓ જો મને ભુલ બતાવશે તો મને ગમશે…!

    આપનો

    રાજીવ

  2. રાજીવ Says:

    જીવનના રંગ જ્યારે ફીક્કા બની જાય છે ત્યારે મેઘધનુષ પણ માનવીને રંગહીન દેખાય છે… સુંદર દિશતા પર્વતો પણ પથ્થર અને ઝાંખડાના ઢગલા લાગે છે… માર્ગ અને મંઝિલો બધી ક્યાંક ખોવાય જાય છે… બંધ આંખે મૃગજળ દેખાય છે… અને જાણે કાવ્યનો સાગર ઓસરતો જતો હોય તેવી લાગણી થયા કરે છે… આવી જ કંઇક વાત આ ગઝલનો મુદ્દો છે… આપના અભિપ્રાયનો ઈંતઝાર રહેશે…

    રાજીવ

  3. વિવેક ટેલર Says:

    ખૂબ સુંદર પ્રયાસ… હાર્દિક અભિનંદન… હવે આ ગલીમાં આવી જ ગયા છો તો પાછા વળી જવાની ભૂલ ના કરતા…

    છંદની ભૂલો તો થયા જ કરશે… લઘુ-ગુરુની વિભાવના બરાબર સમજી લેશો તો ભૂલોનું પ્રમાણ આપમેળે ઘટી જશે…

    શુભેચ્છાઓ…

  4. sunil shah Says:

    રાજીવજી,
    છંદબદ્ધ ગઝલોની દુનીયામાં તમારું સ્વાગત છે. તમે છંદનો મહીમાં સમજી છંદમાં લખવાનો પ્રયાસ કર્યો તે બદલ ધન્યવાદ. શરુઆતમાં હું જે ભુલો કરતો હતો તેવી ભુલો–લઘુ–ગુરુ માત્રા સમજવાની અને બે લઘુ ક્યારે ગુરુ બને તે તમારાથી થઈ છે..પણ એ થોડીક સ્પષ્ટતાથી દુર થઈ જશે. ાા અંગે તમે જણાવશો તો વ્યક્તીગત મેઈલ લખીશ.
    બાકી ગઝલ સરસ થઈ છે. બધા શેર સરસ થયા છે. પ્રયત્ન ચાલુ રાખશો.

  5. Ramesh Patel Says:

    Thoughts and a style to say,leave a special impression,which is experienced by readers.your
    gazal has own potencial.

  6. pragnaju Says:

    રથમ પ્રયાસે જ સુંદર ગઝલ
    રંગ સઘળાં, જીવન તણા ઉડતા જાય છે
    જુઓ મને મેઘધનુ રંગહિન જણાય છે
    વિશાલ યાદ આવ્યો
    ગમે ત્યારે અસ્ત થાય એવી આ ઢળતી ઉંમર,
    સારા-નરસા અનુભવોને લીધે સફેદ થઇ ગયેલા વાળ,
    આખી જિંદગીનો ભાર વેઠીને થાકી ગયેલી આંખો,
    રંગહીન, દ્રષ્ટિહીન આંખો,
    અને છતાં
    એ આંખોમાં તગતગતાં રંગીન ચહેરાઓ!
    સૌથી સારા ‘ડી’ ગ્રેડના માનવામાં આવે છે. જે ઓળખ રંગહીન હીરાની હોય છે.!

  7. nilam doshi Says:

    છંદ માટે તો વિવેકભાઇ જેવા તજજ્ઞ કહી શકે. પણ ભાવ સરસ છે. એ તો અમે પણ કહી શકીએ…

    વાર્તાઓ અને લેખોની ગલીઓમાંથી છંદની ગલીઓમાં ઘૂસ્વાની ઇચ્છા તો છે. પરંતુ હજુ હિમત નથી થતી.

    તમે ઘૂસી ગયા તો હવે વધુ ન એવધુ અંદર ચાલતા રહો એવી શુભેચ્છાઓ…

  8. neetakotecha Says:

    ક્યાં આપણે આવીયા, કઈ રાહ ચાલ્યા હતા
    માર્ગ મંઝિલો બધી, હાથથી સરી જાય છે

    khub saras
    kariye tooooooo bhul thay kai kariye j nahi to bhul kyathi thay ane bhul thay to j bhul sudhre…ahiya na mitro eva saras che ne k jivan jivta ane bhulo sudharta sikhdave che..all the beest…

  9. jugalkishor Says:

    પ્રિય રાજીવ,

    તમે મને મીઠી મુંઝવણમાં નાખી દીધો ! તમે મને જે રચના સુધારવા મોકલી હતી તે ‘શબ્દસાગર’ અંગે આપણી ચર્ચાઓ ૧૩ ઈમેઈલથી હજી અધુરી ચાલી રહી છે, ને આ ‘રંગહીન’ નામક રચના વીશે હું કંઈ જ જાણતો નથી, છતાં ભાવ વશ તમે રંગહીન રચના સાથે મારો જાહેર આભાર પણ માની લીધો જેમાં મારું કઈં જ પ્રદાન નથી !!

    શબ્દસાગર પણ સારી જ કૃતી છે, એને પણ પ્રગટ કરજો જ. બાકી આ રંગહીન કૃતી માટે તો તમને અભીનંદન જ ઘટે છે.તમારી સુચના મુજબ મારા બ્લોગ પર હું એ રચના વહેલી તકે રસદર્શન માટે લઈશ, પણ તમે હવે સૌ મીત્રોને પણ આમંત્રણ આપીને સામુહીક રસદર્શનનો નવો ચીલો પડાવો તો ખુબ મઝા આવશે.

    બીજો અને ત્રીજો શેર મને ખુબ જ ગમ્યો છે. આશા રાખું કે તમે (અને નીલમબેન પણ !) ગઝલના સાગરમાં ઝંપલાવો. હું તો ગઝલ માટે બહુ આઘો છું. પણ માણી તો શકું જ છું.

  10. devika dhruva Says:

    Congratulatios, Rajiv. keep it up.good luck.

  11. હિના પારેખ Says:

    સરસ ગઝલ. અભિનંદન.

  12. jayeshupadhyaya Says:

    ભાવપુર્ણ ગઝલ સરસ

  13. રાજીવ Says:

    વહાલા મિત્રો,

    આપ સૌનો ખુબ ખુબ આભાર… આપે જે રીતે મારી હિમ્મત વધારી છે કે હવે લાગે છે કે મારે ઘણા લાંબા સમય પહેલાથીજ છંદમાં લખવાનુ ચાલુ કરી દેવાની જરુર હતી…

    આપ હવે મારા બ્લોગ પર મારી છંદ બધ્ધ રચનાઓ જ માણશો તેવી હું ખાત્રી આપી રહયો છું… આપની સાથે અહી મુલાકાત થતી રહેશે તેવી આશા સાથે

    આપનો મિત્ર

    રાજીવ

  14. રાજીવ Says:

    પ્રિય જુ. કાકા

    આ રચના માટે મે તમારી મદદ લીધી નથી એમ તો કેમ કહેવાય… ભલે મે તે રચના આપને છંદની ભુલો શોધવા ન મોકલી હોય પણ આભાર તો મારે પ્રગટ કરવો જ રહ્યો, કેમકે મને છંદ વિશેનુ સાચુ માર્ગદર્શન અને જ્ઞાન આપનાર તો તમે જ છો. માટે તમે કોઈ જાતની મુંઝવણ ન અનુભવશો…

    આપની સાથે પત્ર વ્યવહાર તો ચાલુ જ રહેશે…

    આપનો

    રાજીવ

  15. Viral Shah Says:

    આવે નહી શબ્દ સાગરમાં ગઝલની ભરતી
    મારો સમુદ્ર ગઝલનો ઓસરી જાય છે

    sundar rachana chhe Rajiv bhai…

  16. હેમંત પુણેકર Says:

    પ્રિય રાજીવ,

    છંદબદ્ધ રચના લખવાની શરૂઆત કરવા બદલ અભિનંદન! છંદનો ક્ષતિરહીત ઉપયોગ કરવા માટે લઘુ ગુરુની વિભાવના સમજવી જરૂરી છે. તે માટે રઈશ મનીઆર સાહેબનું પુસ્તક “ગઝલઃ રૂપ અને રંગ” અને “ગઝલનું છંદોવિધાન” વસાવી લેજે.

    છંદબદ્ધ રચનાઓ સાથેનો મારો અનુભવ તને કહુ. જે છંદના પઠનની પધ્ધતિ બરાબર આવડી જાય એ છંદમાં રચના કરવા માટે ખાસ પ્રયાસ કરવો પડતો નથી. પછી જે પંક્તિ સુઝે છે એ છંદમાં જ હોય છે. છંદ એટલે સાદી ભાષામાં એક ધૂન એક તર્જ જેવા છે. યોગ્ય માપ વાળા શબ્દો ન હોય એવી પંક્તિનું પઠન કરતી વખતે કંઈક ખૂંચતું હોય એવું લાગે છે. કોઈ નવો છંદ અજમાવતી વખતે હું એ છંદની એકાદ જાણીતી ગઝલ કે એકાદ શેર મનોમન બોલતો રહું છું. એકવાર એ ધૂન મનમાં બરાબર બેસી જાય પછી નવી રચના સરળતાથી થઈ શકે છે.

    ઉદાહરણ તરીકે ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા, છંદમાં લખાયેલી પંક્તિ પઠન વખતે પણ એ રીતે તોડીને જ વાંચવી, જેમકે મારી જ એક ગઝલનો શેર લઉં છું, જેના પઠન વખતે નીચેના ટુકડા કરું છું

    મન ભલે …..ને રહે બી….માર ચલા…વો છો તમે
    ગા લગા…..ગા લલ ગા…ગાલ લગા…ગા લ લગા

    ને સતત…..દેહ ના શણ…ગાર ચલા…વો છો તમે
    ગા લગા…..ગાલ લ ગા….ગાલ લગા…ગા લ લગા

    આ લય મનમાં બેસી જાય તો આ છંદમાં રચના સરળ થઈ જશે. આ બધી વાતો ગઝલઃરૂપ અને રંગ માં બહુ સરસ રીતે આપેલી છે.

    આશા રાખું છું કે આ વાતો તને મદદરૂપ થશે.

    હેમંત

  17. jugalkishorj Says:

    શ્રી હેમંતે બહુ જ પાયાની ને સૌના અનુભવની વાત કહી છે –

    “જે છંદના પઠનની પધ્ધતિ બરાબર આવડી જાય એ છંદમાં રચના કરવા માટે ખાસ પ્રયાસ કરવો પડતો નથી. પછી જે પંક્તિ સુઝે છે એમાટે ખાસ પ્રયાસ કરવો પડતો નથી…આ લય મનમાં બેસી જાય તો આ છંદમાં રચના સરળ થઈ જાય.”

    આ બહુ ટુંકો અને સરળ રસ્તો છે.

Leave a Reply